Total Pageviews

Thursday 10 April 2014

આદિલ મન્સુરી

આદિલ મન્સુરી

મહાન ઉર્દૂ અને ગુજરાતીઓ કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરના આદિલ (ફરીદ) મન્સુરી મનહર ઉધાસે ગાયેલી
 ‘‘જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે’’ તે ગઝલથી લોકપ્રિય છે. ગુજરાતી ગઝલનેઆધુનિકતાનો વળાંક આપવામાં
 તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં 
વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા.

સવિશેષ પરિચય

મન્સૂરી ફકીરમહમ્મદ ગુલામનબી, ‘આદિલ’ (હિંન્દી आदिल मन्सूरी, ઉર્દૂ عادِل مَنصوُریِ) (૧૮-૫-૧૯૩૬): ગઝલકાર, કવિ, 
નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં અને માધ્યમિક
 શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં. ઘણા વ્યવસાય
કર્યા. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર; એ પછી ‘ટોપિક’ 
અને ‘અંગના’ જેવાં અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ 
કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ કર્યો.
તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. દેશના
 વિભાજન પછી 1948માં તેમના પિતાએ કરાંચી જવાનો નિર્ણય લીધો. 8 વર્ષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો
 નિર્ણય લીધો અને આદિલ અમદાવાદમાં વસ્યા હતા. અમદાવાદમાં આવયા પછી આદિલે ગુજરાતી ભાષામાં લખાણો, 
કવિતાઓ અને નાટકો લખવાની શરૂઆત કરી. [૧]
તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી છે. ‘વળાંક’ (૧૯૬૩), ‘પગરવ’ (૧૯૬૬) અને ‘સતત’ (૧૯૭૦) એમના ગઝલ
સંગ્રહો છે. એમાં ગઝલની બાની, તેનાં ભાવપ્રતીકો અને રચનારીતિમાં નવીનતા છે. અંદાજે બયાનની આગવી ખૂબીથી
 તેમ જ પોતીકા અવાજથી તેઓ નોખા તરી આવે છે. એમની ગઝલમાં મુખ્યત્વે વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના 
ભાવો શબ્દબદ્ધ થયા છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર, મકાન, સૂર્ય આદિને આ કવિએ પોતાના કથનાર્થે તેમ જ કોઈ
 રહસ્યના કે વિશિષ્ટ અનુભૂતિના સૂચનાર્થે ઉપયોગમાં લીધાં છે.
ગઝલના રચનાકસબનું એમનું પ્રભુત્વ ઉર્દૂ ગઝલના એમના અભ્યાસને આભારી છે. ઉર્દૂમાં પણ એમણે એક સંગ્રહ થાય
 એટલી ગઝલો રચી છે. ‘પગરવ/સંભવ/પાલવ’ તથા ‘મૂંગો/ભડકો/લહિયો’ જેવા કાફિયામાં અને ‘વરસાદમાં’, ‘સૂર્યમાં’, 
‘ભીંડીબજારમાં’ તથા ‘અ’, ‘પરંતુ’ જેવા રદીફમાં તેમ જ ગુજરાતી-સંસ્કૃતની સાથોસાથ ફારસી અને અંગ્રેજી શબ્દોના
 યથોચિત ઉપયોગમાં એમની પ્રયોગશીલતા પરખાય છે. અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી ‘મળે
 ન મળે’ રદીફવાળી ગઝલ લોકપ્રિય થઈ છે. ગતિશીલ શબ્દચિત્રોથી મંડિત લાંબા-ટૂંકા છાંદસ-અછાંદસ કાવ્યો અને 
કેટલાંક ચોટદાર મુક્તકો પણ એમણે આપ્યાં છે.
‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) એમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ 
એકાંકીઓનો સંગ્રહ છે. ‘જે નથી તે’ (૧૯૭૩) એમનો બીજો એકાંકીસંગ્રહ છે.
આદિલ મન્સૂરી શાયર હોવા ઉપરાંત એક સારા પેઇન્ટર હતા અને કેલીગ્રાફીમાં માહિર હતા. ગઝલ ગુર્જરી ડોટ કોમ
 મેગેઝીન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ચાલુ રાખ્યું હતું. જનાબ આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે
 ગુરુવાર તા.૬ નવેમ્બરે ૨૦૦૮ ના દિવસે ન્યૂજર્સીમાં અવસાન થયું[૨].

રચનાઓ

  • વળાંક (૧૯૬૩)
  • પગરવ (૧૯૬૬)
  • સતત (૧૯૭૦)
  • હાથ પગ બંધાયેલા છે (૧૯૭૦)
  • જે નથી તે (૧૯૭૩)

એવોર્ડ

  • વલી ગુજરાતી ગઝલ એવોર્ડ

No comments:

Post a Comment